ઠંડી આવી... શું શું લાવી ?
"ઠંડી આવી... ઠંડી આવી...
તંદુરસ્તી નો સંદેશ લાવી... ઉત્સાહ ને ઉમંગ લાવી...
ઘર- ઘર માં તેજ લાવી...
ઠંડી આવી... ઠંડી આવી..."
"યુવાની ને સ્ફૂર્તિ આપે... આળસુ ને ઊંઘ આપે...
બાળક ને બળ આપે... વૃદ્ધો ને વ્યથા આપે...
ઠંડી આવી... ઠંડી આવી..."
"દક્ષ ને સચેત બનો... વહેલા ઉઠી વીર
બનો...
માલીશ કરી દેહ ચમકાવો... વ્યાયામ કરી
બળવાન બનો...
ઠંડી આવી... ઠંડી આવી..."
"ઘી, દૂધ ને બદામ ખાઓ... મગ, ચણા ને ખજૂર
ખાઓ...
તલ, અડદ ને ગોળ ખાઓ... તાજી તાજી ભાજી ખાઓ...
ઠંડી આવી... ઠંડી આવી..."
"સંયમ નું જીવન અપનાવો... સ્વાધ્યાય કરી સાધક બનો...
તેજસ્વી બનો... ધ્યાન કરી ધ્યેય
ઉઠાવો...
ઠંડી આવી..... ઠંડી આવી."
"ક્ષણ- ક્ષણ કિમતી સમજી લ્યો... આરોગ્ય
ઉત્તમ ધન સમજી લ્યો...
મળ્યા છે અનેરા દિવસો... ફરી જલ્દી નહિ
આવે આ દિવસો...
ઠંડી આવી... ઠંડી આવી..."
...... વૈદ્ય મહેશ અખાણી
વહેલો ઉઠી ને વીર બનવાની ઝંખના વાળો તેજસ્વી સ્નાતક યુવાન જયારે
સામેથી આવતો હોય તો જેની સિંહ જેવી છાતી હોય, હાથી જેવી ચાલ હોય .....તેવા યુવાન સૌને થવું છે. પણ તેના માટે પ્રયત્ન
કરવો પડે. શિયાળો તેવી ઝંખના ધરાવતા લોકો માટે તો છે જ. આજે ૧૦૦ સૂર્યનમસ્કાર
નિયમિત કરતો હોય તેવા યુવાનો ના દર્શન પણ દુર્લભ થયાછે. ખરેખર તો બદામ નું પાચન
તેને જ થાય જે વહેલો ઉઠીને આટલા સૂર્યનમસ્કાર કે વ્યાયામ કરતો હોય.
તંદુરસ્તી આટલી સસ્તી નહિ મળે..... આમળાં, બોર ને દાડમ ખાઈ લ્યો. રીંગણ શાક નો ઓળો ખાઓ, બાજરી નો રોટલો ને ઘી માં સંતલેલું લસણ ખાઓ. સવારે કસરત કરીને આવ્યા
પછી ખજુર ને ઘી ખાઓ, રાત્રે પલાળેલા કાચા ચણા ને સવારે ગરમ
કરીને ખાઓ. આમળાં નો રસ ને મધ પીવો. ચ્યવનપ્રાશ નરણા કોઠે સવારે ૧૦ થી ૨૦ ગ્રામ
ચાટી જવો. રોગો સામે ટકવાની આખા વર્ષની તંદુરસ્તી પ્રાપ્ત થશે.
ડોડી, સાટોડી, મૂળા, મેથી, પાલખ, તાન્દલજો ની ભાજી શિયાળા માં
મળે રોજ તાજી - તાજી.. ભાજી નો સૂપ બનાવીને અથવા તેનું ગાયના ઘી માં બનાવેલું શાક
ખાવાથી રસ અને રક્ત ધાતુઓ માં વધારો થાયછે. સોજા દૂર થાયછે. લીવર અને બરોળ માટે
ભાજી સારી છે. કબજિયાત મટશે, પાચન સુધારશે, મસા મટશે.
સુંઠ, કાળામરી , ગંઠોડા જેવા તેજાના ને ગોળ, ઘી સાથે અથવા દૂધ સાથે
લેવાથી ભૂખ લાગશે, ઊંઘ આવશે, શક્તિ આવશે, થાક ને અશક્તિ દૂર થશે. શિયાળા માં
જેને ભૂખ ના લાગે તેનું જાણે આખું વર્ષ બેકાર ગયું સમજાય. વ્યાયામ કરો ને આ તેજાના
ને ભાજી ખાઓ ભૂખ લાગશે ને શક્તિ પણ આવશે.
તલ- ગોળ નું કચરિયું જેમને ચામડી નો રોગ કે કરમિયા નો રોગ નથી તેમણે
ખાસ ખાવું જોઈએ. તલ નો સ્નેહ ને ગોળ ની મીઠાસ મળવાથી જીવન પુષ્ટ બનેછે.
અત્યારે વનરાજી પણ ખીલેલી જોવા મળેછે.
વનમાં વનસ્પતિ સાથે વાતો કરવા ને વનવાસી સાથે સ્વાર્થ વિનાના સંબધો બાંધી ને મળવામાં
પ્રકૃતિ નો જાણે સાચો આનંદ લેતા હોય તેવું લાગે. જાણે સાચા અર્થ માં જીવન
પુષ્ટ બનતું હોયછે. તન – મન થી પુષ્ટ બનવા
માટે ની આ ઋતુ છે. ઠંડી નો સમય છે.. હવે બેસી રહેવાનો સમય નથી. ઢીલાનું કામ નથી,
આળસુ નું કામ નથી. યા.. હોમ કરીને .. ઠંડી
ઉડાડતી રજાઈ ને ફેકી દ્યો... ને તંદુરસ્તી ની સાધના માટે તૈયાર થઇ જાઓ.
Comments
Post a Comment