નૂતન વર્ષે નિયમિત બનીએ


અત્યારે જેમની જન્મ શતાબ્દી ઉજવાઈ રહીછે તેમણે –  પૂજ્ય પાંડુરંગદાદાજીએ - પ્રવચનમાં કહેલું કે, જીવનમાં મોટા માં મોટો જો કોઈ ગુણ ની જરૂર હોયતો તે છે “ શીલ”. જેના જીવનમાં શીલ છે તેના જીવનમાં ગયેલા બધાજ ગુણો પાછા આવી જશે.

 શીલ એટલે ચારિત્ર્ય. શીલવાન બની રહેવા માટે જરૂરી છે - સંયમ, અભ્યાસ, અધ્યાત્મ, ભક્તિ, વ્રત, ઉપવાસ, સત્સંગ, સ્વાધ્યાય, નિયમિતતા આ બધું જ જરુરી છે.
આજે નૂતન વર્ષારંભે નિયમિતતા વિષે વાત કરીએ.

 આયુર્વેદમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી ને પ્રથમ વર્ષના પ્રથમ દિવસે જ શાસ્ત્ર અભ્યાસમાં પ્રથમ જ એક વાક્ય જરૂર થી ભણાવવામાં આવેછે કે,
બ્રાહ્મે મુહુર્તે ઉત્તિષ્ઠેત્ સ્વસ્થ: રક્ષાર્થમ આયુષ:|

 તંદુરસ્તી અને આયુષ્ય નું રક્ષણ કરવું હોયતો .......... બ્રાહ્મ મુહુર્તમાં એટલેકે સવારે ચાર વાગે ઉઠવાની ટેવ પાડવી જ જોઈએ.

 સંત કવિ નરસિહ મહેતા કહેછે કે, રાત રહે જાહરે પાછલી ષટ ઘડી સાધુ પુરુષે સુઈ ના રહેવું. નિંદ્રા ને પરહરી, સમરવા શ્રીહરિ એક તું એક તું એમ કહેવું.

 ષટ ઘડી એટલે છ ઘડી. એક ઘડી= ૨૪ મિનીટ. સૂર્યોદય ના છ ઘડી= લગભગ અઢી કલાક પહેલા નિયમિત જે કોઈ જાગે અને આત્મ તત્વ નું, ઈશ તત્વ નું, જગત નું અને જગદીશ નું ચિંતન કરશે તેના મન, બુદ્ધી, આત્મા અને શરીર નું ચોક્કસ થી કલ્યાણ થાય, શીલવાન બને અને સ્વસ્થતા પ્રાપ્ત થાય. જીવન માં નિયમિતતા આવી જ જાય.   

 મોડા ઉઠનાર નું જીવન મોળું જ હોય. તેના જીવન માં ઉત્સાહ, સ્ફૂર્તિ, ચૈતન્ય, આયોજન, પથ્યાપથ્ય, સંયમ, નિશ્ચીન્તતા, નિયમિતતા .. નો અભાવ આવી જાય. કોઈ કામ માથે આવી પડે, ના છૂટકે કરવું જ પડે તેમ હોઈ – ફીટ માં આવી ને નિયમિત કોઈ કામ કરે પણ ખરો.. પણ તેથી તેના જીવન માં સંસ્કાર કે જીવન ની નિયમિતતા ના ગુણો આવતા નથી. બલકે આમદોષ ને આળસ ના રોગો ઉત્પન્ન થાયછે.

 આળસ કે આમદોષ ના રોગો એટલે... આમવાત, શ્વાસરોગ, ખરાબ કોલેસ્ટેરોલ, પ્રમેહ- મધુમેહ, હૃદયરોગ, સ્થૂળતા થઇ આવેછે.  સ્ફૂર્તિ નો અભાવ, વ્યાયામ માં આળસ, ઈચ્છા વિહીન જાતીય જીવન, મહેનત નું કામ કરવામાં નબળાઈ અને આમ- કફ જન્ય રોગો નું ઘર બની જાયછે.  જેમાંથી લકવો, કેન્સર, અંધાપો જેવા ગંભીર રોગો ને આવતા સમય નથી લાગતો.

 નિયમિત જીવન પદ્ધતિ અપનાવવા માટે...

આહાર:
ફાસ્ટફૂડ, જંકફૂડ, ડેરી પ્રોડક્ટ માણસના મન ને લલચાવે છે અને ભૂખ વિના તે ખાય છે, પૌષ્ટિકતા વિનાનો અને આળસુ ની જેમ હોજરી માં પડી રહેતો ખોરાક નું પાચન નહિ થવાથી અલસક, વિસુચિકા એટલે કે પત્થર જેવું પેટ બનાવી ને ઝાડા, ઉલટી જેવા રોગો જેવા કે જેમાં સોંય ભોંક્યા જેવી પેટ માં પીડા થાય તેવા અને તેમાંથી મરડો, કમળો, અલ્સર, અલ્સરેટીવ કોલાઇટીસ જેવા શરીર ને ક્ષીણ કરનારા રોગો થઇ આવે છે.

  વિશ્વ માં ૫૮.૬ કરોડ લોકો ના મૃત્યુ દર વર્ષે થાય છે. તેમાં ૩૫ કરોડ માનવ મૃત્યુ અનિયમિત જીવન શૈલી થી થાય છે. આજે રસ્તા સારા બને છે, વાહનો વધે છે, સુખ – સગવડ વધે છે સાથે માંદગી પણ વધે છે. કારણ વ્યાયામ નો અભાવ અને અનિયમિત જીવનશૈલી , ફાસ્ટફૂડ અને ભૂખ વિના ખાવાનો અભાવ, આંધળું અનુકરણ અને વ્યસનોના વમળ.

  તંદુરસ્ત ભાવિના માટે લાંબા ગાળા નું આયોજન વિચારી નિયમિત જીવન શૈલી, સંયમિત અને પૌષ્ટિક આહાર સાથે કઠોર પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી. જે દિવસે વ્યાયામ નહિ તે દિવસે ભોજન નહિ નો નિયમ અપનાવવો જ રહ્યો.

ભૂખ વિના જમવું નહિ, ભૂખ થી ઓછુ ભોજન કરવું.

  અતિ ઠંડી કે અતિ ગરમ, વાસી કે તળેલો, બળેલી આઈટમ નો ત્યાગ કરવો.

જેમ વ્યાયામ તન માટે જરુરી  છે તેમ પ્રાણાયામ તન અને મન બને માટે જરૂરી છે. દરરોજ સવારે અને અનુકુળતા હોય તો સાંજે પણ ભૂખ્યા પેટે અડધો  અડધો કલાક પ્રાણાયામ કરવા જોઈએ.

મન શાંત, સ્વસ્થ અને પ્રસન્ન હશે તો અડધા રોગો થશે જ નહિ. મન ના સ્વાસ્થ્ય માટે પ્રાણાયામ ની સથે સ્વાધ્યાય જરૂરી છે. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણીધાન અષ્ટાંગયોગ નો પ્રથમ પ્રકાર છે.

सर्वेत्र सुखिन: सन्तु सर्वे सन्तु निरामया:।  નવુ વર્ષ સૌનું આરોગ્ય આયુર્વેદ જીવન અને ચિકિત્સા પધ્ધતિ દ્વારા શ્રેષ્ઠ બની રહે તેવી પ્રભુ ને પ્રાર્થના.

Comments

Popular posts from this blog

ગુદા ના વાઢીયા, મટાડવા સહેલા.

ગુદાના વાઢીયા, મટાડવા સહેલા. (Anal Fissure)

ચારેકોર અશુદ્ધીમાં શુદ્ધિ કેમ જાળવવી? (ઝેરનું મારણ ઘી)