લાભ પાંચમ – જ્ઞાન પંચમી


નવા વર્ષ માં નથી નવું કઈ બધું પુરાણું ભાસે છે. એ જ સૂર્ય ને એ જ ચંદ્ર છે, એ જ ઘટમાળ ચાલે છે. નવું વર્ષ, ભાઈબીજ, લાભપાંચમ – જ્ઞાન પાંચમ... આ બધા ઉત્સવો એ ..... સૌના જીવન માં, મન માં, બુદ્ધિ અને ભાવ માં ઉત્સાહ નો સંચાર કરવા માટે, તેજસ્વી જીવન જીવવાને માટે દ્રષ્ટિ આપનાર છે.
               
આજે સૌની નજર લાભ –ફાયદા તરફ છે તેથી જ્ઞાન નું મૂલ્ય ઘટ્યું ને વિત નું મૂલ્ય વધ્યું અને તેમાં લાભ જોવાની દ્રષ્ટિ થી લાભ પંચમી આવી.
આયુર્વેદ માં ચરક સંહિતા માં લખ્યું છે કે....

શરીર ઇન્દ્રિય સત્વ આત્મા સંયોગો ધારિ જીવીતમ|”

અર્થાત માણસ, પશુ, પક્ષી પ્રત્યેક ના જીવન માં શરીર, ઇન્દ્રિયો, મન અને આત્મા નો સંયોગ છે. આ બધા જ અંગો નું સ્વાસ્થ્ય ટકી  રહે, તંદુરસ્ત બની રહે તે માટે વિચારવાનો સમય છે. સ્વાસ્થ્ય અને તંદુરસ્તી શબ્દો કેવળ બિમાર ન પડવું એ અર્થ માં જ નથી, કારણકે આજે આયુર્વેદ ની સ્વાસ્થ્ય ની વ્યાખ્યા પ્રમાણે તો બધા જ બિમાર છે. કારણકે તેમાં પ્રસન્નતા ઉપર ભાર મુક્યો છે.
               
 આજે જીવન મની ઓરીએન્ટેડ ( પૈસાલક્ષી – વિતલક્ષી) બની ગયું છે સતત સ્ત્રી નું ચિંતન કરવાવાળી વ્યક્તિ જેમ સ્ત્રૈણ બને તેમ સતત પૈસા –પૈસા નું ચિંતન કરવા વળી વ્યક્તિ જડ, સ્વાર્થી બની જાય. જયારે જીવન ભાવ, પ્રેમ, લાગણી, ઉષ્મા ના સંબંધો ઉપર ટકી રહેલુ છે.
               
હૃદય ની તંદુરસ્તી વિષય માં મહર્ષિ ચરક લખે છે કે....
હૃદ્યં યત સ્યાત ઔજ્સ્યં સ્રોતસાં યત પ્રસાદનમ|
                                તત્ત સેવ્યં પ્રયત્નેન પ્રશમો જ્ઞાનમેવ ચ |”|
હૃદય ને તંદુરસ્ત રાખવા અને ઓજ ની રક્ષા કરવા માટે મન ને દુખી કરવાવાળા કારણો નો પરિત્યાગ કરવો જોઈએ અને જે આહાર, વ્યવહાર, વિચાર  હૃદય ના માટે હિતકાર છે, જે ઓજ ના માટે હિતકાર છે, જે સ્રોતસ ને પ્રસન્ન કરવાવાળા છે. તેનું અને શાંતિ તથા જ્ઞાન નું પ્રયત્નપૂર્વક સેવન કરવું જોઈએ.
               
 જ્ઞાનપંચમી ના દિવસ થી જીવન માં પદ, પૈસા, પ્રતિષ્ઠા કે પાવર ને પ્રાધાન્ય ન આપતા કેવળ જ્ઞાન ને પ્રાધાન્ય આપવાથી સતત, સાતત્ય પૂર્વક, નિયમિત જ્ઞાન ની ઉપાસના કરવાથી હૃદય ની તંદુરસ્તી વધે છે. 
               
હવે જયારે જ્ઞાન ની વાત આવે છે ત્યારે શ્રીમદ ભગવત ગીતા – અધ્યાય – ૧૩ નો શ્લોક યાદ આવે છે કે .......
અધ્યાત્મજ્ઞાન નિત્યત્વં તત્વજ્ઞાનાર્થા દર્શનમ |
                                એતત જ્ઞાનં ઇતિ પ્રોક્તં અજ્ઞાનમ યદતો અન્યથા ||”
અર્થાત – અધ્યાત્મ જ્ઞાન માં નિત્યતા, સાતત્યતા, તત્વજ્ઞાન ના અર્થ રૂપ પરમાત્મા નું સર્વત્ર દર્શન એ સર્વ જ્ઞાન છે અને જે એનાથી વિપરીત છે તે અજ્ઞાન છે.
               
 શરીર, મન, ઇન્દ્રિયો અને આત્મા ની તંદુરસ્તી માટે આયુર્વેદ અને અધ્યાત્મ જ્ઞાન નો સુમેળ જરૂરી છે. બ્રાહ્મમુહુર્તમાં જાગી ને, ધ્યાન, આસન, પ્રાણાયામ અને અધ્યાત્મ જ્ઞાન ના નિત્ય અભ્યાસ દ્વારા સ્વાસ્થ્ય મેળવવું અને તેમાં નિયમિતતા જાળવવી તે નવા વર્ષા નો શુભ સંકલ્પ બની રહો.

                અહં વૈશ્વાનરો ભૂત્વા........ પ્રાણીમાત્ર ના શરીર માં ભૂખ, પાચન શક્તિ સ્વરૂપે રહેલા ઈશ્વર ને, અગ્નિ ને સંભાળવા માટે ભૂખ થી અડધું ભોજન કરવું, ભૂખ વિના જમવું નહિ અને પથ્ય આહાર વિહાર નું સેવન કરવાથી સ્વાસ્થ્ય જળવાઈ રહેશે. શરીરમ આદ્યં ખલુ ધર્મ સાધનમ |”  તો જ જીવન માં અધ્યાત્મ જ્ઞાન નો અભ્યાસ થશે. તેવા શુભ સંકલ્પ સાથે.
જય આયુર્વેદ. ....... જય ધન્વન્તરી.....

Comments

Popular posts from this blog

ગુદા ના વાઢીયા, મટાડવા સહેલા.

ગુદાના વાઢીયા, મટાડવા સહેલા. (Anal Fissure)

ચારેકોર અશુદ્ધીમાં શુદ્ધિ કેમ જાળવવી? (ઝેરનું મારણ ઘી)