ઓકી દાતણ જે કરે..........

             જૂના જમાના ની કહેવત છે કે.... ... “ ઓકી દાતણ જે કરે, નરણા હરડે ખાય. દૂધે વાળું જે કરે તે ઘર દર્દ ના જાય. “ . . આ જ વિષયને મહર્ષિ વાગભટ્ટ સરસ સમજાવેછે કે.... “ શીતોદ્ભવમ દોષચયમ વસન્તે | વિશોધયન ગ્રીષ્મજમભ્ર કાલે ||” 
      
             હેમંત ઋતુ ( ઠંડીમાં ) માં ચોંટી ગયેલા કફને વસંત ઋતુ ની શરૂઆતમાં શોધન કરીને, નિષ્ણાત પંચકર્મ વૈદ્ય પાસે વમનકર્મ- ઉલટી નું કર્મ કરાવવું જોઈએ. ગ્રીષ્મઋતુ ( ગરમી ) માં ભેગા થયેલા વાયુને ગરમી ઓછી થતાં જ એટલેકે ચોમાસાની વર્ષાઋતુ આવે તે પહેલા જ બસ્તિ કર્મ થી વાયુનું શમન કરાવવું જોઈએ. તથા વર્ષાઋતુ માં પાચન અને અન્ન- પાણી ભારે થવાથી ને બગડવાથી ભેગા થયેલા પિત્તને વર્ષાઋતુ પૂરી થયા બાદ એટલેકે શરદ પૂનમ ની આસપાસ પિત્ત નું પદ્ધતીસર વિરેચન કરાવવું જોઈએ. .................. આવું કરવાથી માણસ ઋતુઓથી થતી બીમારીઓથી દૂર રહેછે ને સંપૂર્ણ તંદુરસ્ત રહેછે.
             સામાન્ય રીતે  દરરોજ સવારે, ભોજન પછી તરતજ અને રાત્રીની શરૂઆતમાં સૌને કફ વધે, બપોરે મધ્યાહ્ન કાળે, ભોજન પચવાના સમયે અને મધ્ય રાત્રીએ પિત્તનો વધારો થાય જ અને સાંજના સમયે, ભોજન પછી ગયા પછી અને સૂર્યોદયના બે થી ત્રણ કલાક પહેલા એટલેકે રાત્રીના છેલ્લા પ્રહરમાં વાયુનો વધારો થાય જ. વાયુ સ્ફૂર્તિ આપેછે તેથી જ સવારે બ્રાહ્મ મુહુર્ત માં ઉઠનાર નો આખો દિવસ ઉત્સાહ ને સ્ફૂર્તિ સાથે પસાર થાયછે.
  
              બધા માણસો તંદુરસ્તી માટે આખું વર્ષ વૈદ્ય ના સંપર્ક માં રહીને વર્ષ માં ત્રણ વખત વમન, વિરેચન કે બસ્તિ કરાવે તેટલી આપણી સૌની સભાનતા નથી અને વ્યાયામવીર ને માટે કે નિત્ય હિતકારક આહાર- વિહાર કરનાર ને માટે તે જરૂરી પણ નથી તેથી આપના લોકોએ સરસ કહેવત આપી છે કે.... ઓકી દાતણ જે કરે... સવારે જે માણસો ઓકી- ઓકી ને દાતણ કરતી વખતે કફ કાઢેછે તેમને કફ ના રોગો થતા નથી, જે સવારે નરણા કોઠે હરડે ની છાલ ચૂસેછે તેમને વાયુ ના રોગો અને જે રાત્રે સૂતા સમયે કે સાંજ ના ભોજન માં દૂધ પીએછે તેમને પિત ના રોગો થતા નથી.
 
               સામાન્ય રીતે સારવાર ના બે પ્રકાર છે. ૧, સંશોધન. અને ૨, શમન.  પંચકર્મ એ મુખ્ય કરીને સંશોધન છે. જેમાં શરીરના બગાડને- એટલેકે દોષોને – વાયુ, પિત્ત અને કફને ખેંચીને બહાર કાઢીને ઝડપથી દર્દ માં થી દર્દીને મુક્ત કરવામાં આવેછે. અને શમન એટલેકે સામાન્ય સ્થિતિ માં રહેલા દોષોને દૂધ, ઘી કે મધ સાથે જુદી- જુદી ઔષધિઓ પીવા, ખાવા કે ચાટવા આપીને દર્દ ને દૂર કરવામાં આવેછે જેને શમન ચિકિત્સા પદ્ધતિ કહેછે. શમન થી પણ અનુભવી વૈદ્ય ઝડપથી અને મૂળથી, કાયમી માટે દર્દ દૂર કરી શકેછે.  
             
                આ જ વાતને વાગ્ભટ્ટ અષ્ટાંગ હૃદય માં કહેછે કે.. “ શરીરજાનામ દોષાનામ ક્રમેણ પરમ ઔષધમ| બસ્તિ વિરેકો વમનમ તથા તૈલમ ઘૃતમ મધુ || શરીર માં થતા તમામ રોગોની સારવાર આ પ્રકારે છે. વાયુ, પિત્ત અને કફ ને એ જ ક્રમ માં સંશોધન ચિકિત્સામાં બસ્તિ, વિરેચન અને વમન છે તથા  શમન ચિકિત્સામાં તેલ, ઘી અને મધ છે. 
 
                આજનો સુધરેલો માણસ  મધ ખાતો નથી ને તેલ, ઘી ની તેને સુગ ચડેછે. તેલ ને ઘી થી હૃદય રોગ તો નહિ થાય ને !!! તેવા ખોટા વહેમ માં જીવેછે અને સાચું, શાસ્ત્ર પ્રમાણે પદ્ધતિસર  પંચકર્મ કરાવી શકે ને તેની યોગ્ય સમજણ આપી શકે તેવા વૈદ્ય જલ્દી જોવા મળતા નથી. તેથી આજનો  બ્યુટી પાર્લર માં જઈ રૂપાળો થયેલો માણસ દર્દ ને દવા થી ખોખલો  થઈ ગયોછે. 

               આપણા આર્ષદ્રષ્ટા ઋષીઓએ ઋતુના ચક્રને  સ્વાસ્થ્ય સાથે જોડી દીધા છે.  જેમકે શિવરાત્રી ના શક્કરીયા, હોળી માં ચણા, ધણી, ખજુર. ચોમાસા માં ઉપવાસ નું મહત્વ  ને શિયાળા માં રીંગણ નું ભડથું, શરદઋતુ ને શ્રાદ્ધ માં ખીર. ...... આ બધું જ ઋતુ પ્રમાણે થતા દોષ પ્રકોપ ની સારવાર છે..................... આવો ઋષીઓ ને વંદન કરીએ ને આયુર્વેદ, પંચકર્મ ને ઋતુઓ ને સમજીને સ્વાસ્થ્ય મેળવીએ................... 


More Info
          Amrut Ayurved Kendra & Panchkarma Hospital
 - Kirti Chambers, Kirti Stambh Road, Infront of Taluka Panchayat, Palanpur, Gujarat (INDIA)
 - Ayurved Sankul, Near temple of Hanuman, Hanuman tekari, palanpur, Gujarat (INDIA)
Mo.- +91 9426399125, +91 2742 255037

For More Article

Comments

Popular posts from this blog

ગુદા ના વાઢીયા, મટાડવા સહેલા.

ગુદાના વાઢીયા, મટાડવા સહેલા. (Anal Fissure)

ચારેકોર અશુદ્ધીમાં શુદ્ધિ કેમ જાળવવી? (ઝેરનું મારણ ઘી)